બિરસા મુંડાની પ્રતિમા ખંડિત્ત કરનાર સામે કડક કાર્યવાહી કરવા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

ખેરગામમાં જનનાયક બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થવાના પ્રકરણમાં આદિવાસી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આવું કૃત્ય કરનારને શોધી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.

ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક સ્કૂલના ગેટની સામે આવેલી ક્રાંતિવીર જનનાયક ભગવાન બિરસા મુંડા પ્રતિમામાં તીરકામઠુ તાજેતરમાં ખંડિત થતા આદિવાસી સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. બિરસા આર્મીના જવાનોએ સર્કલની મુલાકાત લીધી હતી અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. ખેરગામ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ખંડિત કરનારા તત્ત્વો વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ નથી. આથી તાત્કાલિક આદિવાસી સમુદાયને ન્યાય આપી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી હતી. ઉપરાંત પ્રતિમાને પણ તાત્કાલિક રિપેરીંગ કરવા માંગણી કરી હતી. જો 10 દિવસમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો અહિંસક આદિવાસી સમાજ સત્યાગ્રહ કરશે એવી ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ નવસારી જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ નીરવ પટેલે પણ તેમની ટીમ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી બિરસા મુંડાજીની ખંડિત પ્રતિમા આદિવાસી સમાજનું અપમાનજનક બાબત ગણાવી છે. બિરસા મુંડાની નવી પ્રતિમા માટે બજેટ માટે ફાળવણી કરવા માંગણી કરી છે અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી બીજી વખત આવું કૃત્ય કરતા પણ વિચારે એવી માંગ કરી હતી. ભાજપના કેટલાક  આદિવાસી અગ્રણીઓએ પણ  શનિવારે ખેરગામ પોલીસને લેખિત અરજી આપી પ્રતિમાને ખંડિત કરનાર અજાણ્યા તત્વો સામે તટસ્થ તપાસ કરી કાર્યવાહીની માંગ કરી હતી.



Post a Comment

Previous Post Next Post